29/04/2025
‘એ મારા લોહીમાં નથી !’
અમદાવાદમાં ગત ડિસેમ્બરમાં અભિવ્યક્તિ એડિશન-7 યોજાયું હતું તેમાં અલગ અલગ ફિલ્ડમાંથી આવતા કલાકારોએ પોતાની અભિવ્યક્તિ રજૂ કરી હતી. તેમાં Art, Music, Dance, Theatre જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આમ તો પહેલી વાર હું જોવા ગયો હતો કારણ કે હું 2024માં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં માસ્ટર કરવા માટે આવ્યો છું.
તેમાં મેં એક નાટક જોયું તેનું નામ ‘જોગીદાસ ખુમાણ એક સંત બહારવટિયો.’ આમ તો મેં નાટક ખૂબ ઓછા જોયેલા, પણ પહેલી વાર સિટીમાં નાટક જોવાનું મળ્યું, એટલે મને પણ ખૂબ રસ પડ્યો. આથી મને નાટકમાં દેખાડવામાં આવેલું એક દ્રશ્ય શેર કરું છું : જોગીદાસ બહારવટિયો હતો, તેની દુશ્મની ભાવનગરના દરબાર અને તેમની રાણી સામે હતી. પણ જોગીદાસે કહેલ કે એ મારા લોહીમાં નથી કે, હું એક સાથેની દુશ્મનીનો હિસાબ બીજા સાથે લઉં !
ભાવનગરનાં દરબારનાં ધર્મપત્ની નાનીબા તેમના પુત્ર સાથે માનતા પૂરી કરવા જતા હતા, ત્યારે તેમનું વેલડું લૂંટવા ‘વાઘા ચાવડા’ આવ્યો અને તેણે નાનીબાને કહ્યું કે ‘તમારે અહીંથી જીવતા જવું હોય તો તમારા બધા ઘરેણાં ઉતારીને અમને આપી દો !’. ત્યારે વેલડાની અંદરથી નાનીબા બોલ્યા કે, "તું જોગીદાસ ખુમાણનો માણસ નથી, કારણ કે જોગીદાસ ખુમાણ ક્યારેય કોઈની બહેન-દીકરી ઉપર હાથ ન નાખે !”
ત્યાં એટલામાં ડુંગરોની વચ્ચેથી ઘોડી લઈને જોગીદાસ ખુમાણ આવ્યાં અને વાઘા ચાવડાને કહ્યું કે, "વાઘા, તું આ શું કરી રહ્યો છે?" ત્યારે વાઘા બોલ્યો, "આ તો ભાવનગરનાં દરબારની રાણી છે, આવો મોકો વેર કાઢવાનો ક્યારેય નહીં મળે !" જોગીદાસ્ કહ્યું, "તું જોગીદાસનો માણસ છે. તારાથી આ કામ કેવી રીતે થઈ શકે? તું કોઈની બહેન દીકરી ઉપર હાથ કેમ નાખી શકે? મારે તો દુશ્મનાવટ ભાવનગરના રાજા સાથે છે, તેમાં આ રાણી અને કુંવરસાહેબનો શું વાંક?"
જોગીદાસે તલવાર હાથમાં લીધી અને ત્યાંથી લૂંટારોઓને નસાડી દીધાં. વાઘા ચાવડા પણ નાસી ગયો. જોગીદાસ ખુમાણ નાનીબાના વેલડા પાસે ગયા અને કહ્યું, "શિહોરની રાણી, તમે તો મારી બેન સમાન છો. તમને મારાથી લૂંટી શકાય એવું કદી ન બને. હું તમને શિહોરના પાદર સુધી વળાવવા આવું છું. જો હું તમને લૂંટું તો મારી જનેતા લાજે."
જોગીદાસ વેલડાની પાછળ પાછળ શિહોરના પાદર સુધી વળાવા ગયા. આમ તો વાર્તા ઘણી મોટી છે, પણ મને આ દ્રશ્ય એટલા માટે ગમ્યું કે મર્યાદા વિવેક કોને કહેવાય; એ આજકાલના ઢોંગી સાધુઓ/ પાખંડીઓ/ રાજકીય નેતાઓએ જોગીદાસ ખુમાણમાંથી પાઠ શીખવાની જરુર છે કે જનતાને લૂંટવાનું છોડી દેવું જોઈએ !